મુખ્ય સામગ્રી પર જાઓ

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 16: આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ | સંપૂર્ણ IMP નોટ્સ(Std 10 Chapter 16 Social science Gujrati ma)

પ્રકરણ 16: આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ

૧૯૯૧ના આર્થિક સુધારા: ભારતની પ્રગતિની નવી ઉડાન

🔓 ૧. આર્થિક ઉદારીકરણ (બંધનોમાંથી મુક્તિ)

સરકારે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ધીમે ધીમે ઘટાડ્યા તેને 'ઉદારીકરણ' કહેવાય.

  • શું બદલાયું?: ૧૮ ઉદ્યોગો સિવાયના બધા ઉદ્યોગો માટે લાયસન્સ પ્રથા રદ થઈ. રેલવે, અણુશક્તિ અને સંરક્ષણ સિવાયના ક્ષેત્રો ખાનગી માટે ખુલ્યા.
  • રોજિંદું ઉદાહરણ: પહેલા એક લિટર તેલ કે સિમેન્ટ લેવા માટે પણ લાઈનમાં ઉભા રહેવું પડતું કે પરમિટ લેવી પડતી, હવે તમે ગમે તેટલો સામાન છૂટથી ખરીદી કે વેચી શકો છો.
  • લાભ: વિદેશી મૂડીરોકાણ વધ્યું અને ચીજવસ્તુઓની અછત દૂર થઈ.

🏢 ૨. ખાનગીકરણ (સરકારીમાંથી પ્રાઇવેટ)

રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા.

  • રીત: સરકારી કંપનીના શેર ખાનગી વ્યક્તિઓને વેચવા (વિ-મૂડીરોકાણ - Disinvestment).
  • રોજિંદું ઉદાહરણ: 'એર ઇન્ડિયા' પહેલા સરકારી હતી, હવે તે ટાટા ગ્રુપ પાસે છે. તેનાથી સર્વિસ સુધરી અને સરકારી નુકસાન ઘટ્યું.
  • લાભ: ઉત્પાદન ક્ષમતામાં વધારો અને ઉદ્યોગોમાં કાર્યક્ષમતા આવી.

🌍 ૩. વૈશ્વિકીકરણ (દુનિયા એક બજાર)

દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ.

  • શું થાય?: વસ્તુઓ, સેવાઓ અને ટેકનોલોજીની હેરફેર દેશો વચ્ચે સરળ બને.
  • રોજિંદું ઉદાહરણ: તમે ભારતમાં બેસીને iPhone (અમેરિકાની કંપની) કે Samsung (કોરિયાની કંપની) વાપરી શકો છો, તે વૈશ્વિકીકરણને આભારી છે.
  • લાભ: ગ્રાહકોને સસ્તી અને સારી ક્વોલિટીની વસ્તુઓ મળે છે.

🌐 ૪. WTO (વેપારની સુપરવાઈઝર સંસ્થા)

સ્થાપના: ૧ જાન્યુઆરી, ૧૯૯૫. મુખ્ય મથક: જિનીવા (સ્વિટ્ઝર્લેન્ડ).

  • કાર્ય: દેશો વચ્ચેના વેપારના ઝગડા મિટાવવા અને ભેદભાવ દૂર કરવા.
  • ભારત પર અસર: ભારતની નિકાસ (Export) માં વધારો થયો છે અને ભારતને વિશ્વનું મોટું બજાર મળ્યું છે.

🌱 ૫. ટકાઉ વિકાસ (ભવિષ્યનું વિચારીને પ્રગતિ)

વિકાસ એવો હોવો જોઈએ જે આજની જરૂરિયાત પણ પૂરી કરે અને ભવિષ્યની પેઢી માટે સંસાધનો (પાણી, જંગલો, ખનીજ) પણ બાકી રાખે.

  • પર્યાવરણની સુરક્ષા: પેટ્રોલ-ડીઝલના બદલે સૌર ઉર્જા અને પવન ઉર્જાનો વપરાશ વધારવો.
  • રોજિંદું ઉદાહરણ: અત્યારે આપણે જે Electric Vehicles (EV) વાપરી રહ્યા છીએ તે ટકાઉ વિકાસનું ઉદાહરણ છે જેથી હવા શુદ્ધ રહે અને પેટ્રોલ બચે.

📊 પ્રકરણ 16: આર્થિક સુધારા - માસ્ટર ટ્રીક ટેબલ

💡 મુખ્ય આર્થિક સુધારા (૧૯૯૧)

સુધારો (LPG) સરળ અર્થ (ટ્રીક) મુખ્ય ફેરફાર
ઉદારીકરણ (L) બંધનમુક્તિ લાઇસન્સ પ્રથા રદ કરવી, અંકુશો ઘટાડવા.
ખાનગીકરણ (P) ખાનગી માલિકી સરકારી કંપનીઓના શેર ખાનગીને વેચવા (વિ-મૂડીરોકાણ).
વૈશ્વિકીકરણ (G) વિશ્વ સાથે જોડાણ આયાત-નિકાસ સરળ બનાવવી, દેશો વચ્ચે વ્યાપાર વધારવો.

🌐 વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) - યાદ રાખવાની ટ્રીક

સ્થાપના: ૦૧-૦૧-૧૯૯૫ | મથક: જિનીવા (સ્વિટ્ઝર્લેન્ડ)

  • ઉદ્દેશ: આંતરરાષ્ટ્રીય વ્યાપારના અવરોધો દૂર કરવા.
  • ભારત માટે: નિકાસમાં વધારો અને કૃષિ ક્ષેત્રે નવી તકો.

🌱 ટકાઉ વિકાસ અને સુરક્ષાના પગલાં

પૃથ્વી પરિષદ ૧૯૭૨ (સ્ટોકહોમ, સ્વીડન) - પર્યાવરણ માટે પ્રથમ સભા.
ટકાઉ વિકાસ ટ્રીક આજ + કાલ = વિકાસ (આજની જરૂરિયાત અને ભવિષ્યની સાચવણી).
વ્યૂહરચના પુનઃપ્રાપ્ય ઉર્જા (સૌર, પવન) અને કુદરતી સાધનોનો કરકસરભર્યો ઉપયોગ.

⚖️ વૈશ્વિકીકરણના લાભ અને ગેરલાભ

લાભ: વિદેશી મૂડીરોકાણ વધે, ગ્રાહકોને ગુણવત્તાવાળી વસ્તુ મળે.

ગેરલાભ: નાના ઉદ્યોગો નાશ પામે, આવકની અસમાનતા વધે.

🌍 પ્રકરણ 16: બોર્ડ સ્પેશિયલ હેતુલક્ષી પ્રશ્નો

વિભાગ 1: ૧૦ બહુવિકલ્પ પ્રશ્નો (MCQ)

  1. ભારતમાં આર્થિક સુધારાનો અમલ કયા વર્ષથી કરવામાં આવ્યો?
    (A) ૧૯૮૫ (B) ૧૯૯૧ (C) ૧૯૯૫ (D) ૨૦૦૧
  2. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
    (A) જિનીવા (B) ન્યૂયોર્ક (C) પેરિસ (D) લંડન
  3. પર્યાવરણની સુરક્ષા માટે ૧૯૭૨માં પ્રથમ પૃથ્વી પરિષદ કયા દેશમાં યોજાઈ હતી?
    (A) સ્વીડન (B) બ્રાઝિલ (C) ભારત (D) અમેરિકા
  4. કયા સુધારામાં લાઇસન્સ પ્રથા અને અંકુશો દૂર કરવામાં આવ્યા?
    (A) ઉદારીકરણ (B) ખાનગીકરણ (C) વૈશ્વિકીકરણ (D) રાષ્ટ્રીયકરણ
  5. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ હતી?
    (A) ૧ જાન્યુઆરી ૧૯૯૫ (B) ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ (C) ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ (D) ૧ એપ્રિલ ૨૦૦૧
  6. દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે...
    (A) ઉદારીકરણ (B) ખાનગીકરણ (C) વૈશ્વિકીકરણ (D) મૂડીવાદ
  7. કયા ક્ષેત્રમાં હજી પણ સરકારે પોતાનો ઈજારો રાખ્યો છે?
    (A) અણુશક્તિ (B) સિમેન્ટ (C) ખાંડ (D) ઓટોમોબાઈલ
  8. ટકાઉ વિકાસનો ખ્યાલ કઈ બાબત પર ભાર મૂકે છે?
    (A) માત્ર આર્થિક પ્રગતિ (B) નફો (C) ભવિષ્યની પેઢીની જરૂરિયાત (D) યંત્રોનો વધુ વપરાશ
  9. ભારતમાં વૈશ્વિકીકરણને કારણે કયા ઉદ્યોગોને નુકસાન થયું છે?
    (A) આઈટી ઉદ્યોગ (B) લઘુ અને કુટિર ઉદ્યોગ (C) વાહન ઉદ્યોગ (D) દવા ઉદ્યોગ
  10. કયો વાયુ ઓઝોનના પડમાં ગાબડાં પાડવા માટે જવાબદાર છે?
    (A) ઓક્સિજન (B) હાઈડ્રોજન (C) ક્લોરોફ્લોરો કાર્બન (CFC) (D) નાઈટ્રોજન

વિભાગ 2: ૧૦ ખાલીજગ્યા પૂરો

  • ૧. ૧૯૯૧ ની નીતિમાં ૧૮ (અઢાર) ઉદ્યોગો સિવાય લાયસન્સ પ્રથા રદ કરવામાં આવી.
  • ૨. ભારત WTO (વિશ્વ વ્યાપાર સંગઠન) નો સ્થાપક સભ્ય દેશ છે.
  • ૩. ટકાઉ વિકાસ એટલે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર કરવામાં આવતો વિકાસ.
  • ૪. સરકારી માલિકીના એકમો ખાનગી ક્ષેત્રને સોંપવા એટલે ખાનગીકરણ.
  • ૫. પર્યાવરણ જાગૃતિ માટે ૫ જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે.
  • ૬. જિનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે.
  • ૭. ભારતની આર્થિક નીતિના ત્રણ પાયા એટલે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ.
  • ૮. ક્લોરોફ્લોરો કાર્બનનો વપરાશ રેફ્રિજરેટર અને એસીમાં વધુ થાય છે.
  • ૯. ૧૯૯૧ ના સુધારા સમયે ભારતના નાણામંત્રી ડો. મનમોહન સિંહ હતા.
  • ૧૦. ગ્લોબલ વોર્મિંગ માટે કાર્બન ડાયોક્સાઈડ વાયુ મુખ્યત્વે જવાબદાર છે.

વિભાગ 3: ૧૦ ખરા-ખોટા જણાવો

  • ૧. ઉદારીકરણને કારણે વિદેશી મૂડીરોકાણ ઘટ્યું છે. - ખોટું (વધ્યું છે)
  • ૨. ૧૯૯૫માં WTO ની સ્થાપના કરવામાં આવી હતી. - ખરું
  • ૩. ખાનગીકરણથી જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કાર્યક્ષમતા સુધરે છે. - ખરું
  • ૪. વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારી સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ છે. - ખોટું (તેમાં હજી પડકારો છે)
  • ૫. ઓઝોન સ્તર સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે. - ખરું
  • ૬. ભારત માટે વૈશ્વિકીકરણ માત્ર લાભદાયી જ રહ્યું છે. - ખોટું (કેટલીક નકારાત્મક અસરો પણ છે)
  • ૭. ટકાઉ વિકાસ એટલે ભવિષ્યની પેઢી માટે સંસાધનોની જાળવણી. - ખરું
  • ૮. પૃથ્વી પરિષદ પ્રથમ વાર અમેરિકામાં ભરાઈ હતી. - ખોટું (સ્વીડનમાં)
  • ૯. ખાનગીકરણને વિ-મૂડીરોકાણ પણ કહેવામાં આવે છે. - ખરું
  • ૧૦. ૧૯૯૧ની આર્થિક નીતિ 'નવી આર્થિક નીતિ' તરીકે ઓળખાય છે. - ખરું

📝 પ્રકરણ 16: ૨ ગુણના મોસ્ટ IMP પ્રશ્નોત્તર

૧. આર્થિક ઉદારીકરણની વ્યાખ્યા આપી તેનો મુખ્ય હેતુ જણાવો.

ઉત્તર: સરકાર ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ધીમે ધીમે ઘટાડે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને આર્થિક ઉદારીકરણ કહે છે.

  • હેતુ: દેશના આર્થિક વિકાસને વેગ આપવો અને ઉદ્યોગોમાં હરીફાઈ વધારીને ઉત્પાદન ક્ષમતા વધારવી.

૨. ખાનગીકરણ (Privatization) એટલે શું? તેના માર્ગો જણાવો.

ઉત્તર: એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે.

  • ૧. અગાઉ જાહેર ક્ષેત્ર માટે અનામત રાખેલા ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવા.
  • ૨. રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી ખાનગી ક્ષેત્રને સોંપવી (વિ-મૂડીરોકાણ).

૩. વૈશ્વિકીકરણ (Globalization) એટલે શું?

ઉત્તર: દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિકીકરણ.

  • તેનાથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં મુક્ત રીતે હરે-ફરે છે.
  • તેના કારણે બે દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર થાય છે.

૪. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના કોઈપણ બે ધ્યેયો લખો.

ઉત્તર:

  • ૧. આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો (જકાત, અંકુશો) દૂર કરવા.
  • ૨. વિશ્વ વ્યાપાર માટે દેશો વચ્ચે ઊભા કરવામાં આવતા ભેદભાવો દૂર કરવા.

૫. ટકાઉ વિકાસ (Sustainable Development) એટલે શું?

ઉત્તર: ભવિષ્યની પેઢીની જરૂરિયાતો સંતોષવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ.

  • તેમાં પર્યાવરણની સુરક્ષા અને કુદરતી સાધનોની જાળવણી પર ભાર મૂકવામાં આવે છે.

૬. પર્યાવરણની સુરક્ષા માટે ભારત સરકારે લીધેલાં બે પગલાં જણાવો.

ઉત્તર:

  • ૧. ૧૯૮૧માં ભારત સરકારે 'વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો' પસાર કર્યો.
  • ૨. દેશના મુખ્ય શહેરોમાં પ્રદૂષણની તપાસ માટે કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે અને પર્યાવરણ શિક્ષણ ફરજિયાત બનાવ્યું છે.

📘 પ્રકરણ 16: ૩ ગુણના બોર્ડ IMP પ્રશ્નોત્તર

૧. વૈશ્વિકીકરણના લાભો જણાવો.

ઉત્તર: વૈશ્વિકીકરણને કારણે દેશના અર્થતંત્રમાં નીચે મુજબના લાભો થયા છે:

  • વિદેશી મૂડીરોકાણ: વૈશ્વિકીકરણને પરિણામે દેશમાં સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) વધ્યું છે.
  • ગુણવત્તાયુક્ત વસ્તુઓ: વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓ ભારતના બજારમાં સરળતાથી ઉપલબ્ધ બની છે, જેનો લાભ ગ્રાહકોને મળે છે.
  • આંતરરાષ્ટ્રીય હરીફાઈ: ભારતના ઉદ્યોગોએ વિશ્વના અન્ય દેશો સાથે હરીફાઈ કરવાની ક્ષમતા કેળવી છે, જેનાથી ઉત્પાદન અને ગુણવત્તા સુધરી છે.
  • નિકાસમાં વધારો: ભારતની વસ્તુઓ વિદેશમાં વેચાવા લાગી છે, જેનાથી વિદેશી હૂંડિયામણની કમાણીમાં વધારો થયો છે.

૨. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના મુખ્ય કાર્યો સમજાવો.

ઉત્તર: ૧ જાન્યુઆરી, ૧૯૯૫ ના રોજ સ્થપાયેલ WTO નીચે મુજબના કાર્યો કરે છે:

  • કરારોનો અમલ: બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું પૂરું પાડવું અને તેનો અમલ કરાવવો.
  • ચર્ચા-વિચારણા: આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે થતી ચર્ચા-વિચારણાઓ માટે સંગઠન તરીકેની ભૂમિકા ભજવવી.
  • ભેદભાવ દૂર કરવા: કોઈપણ દેશ વ્યાપારમાં પક્ષપાત કે ભેદભાવ ન રાખે તે જોવાનું કાર્ય WTO કરે છે.
  • રાષ્ટ્રીય નીતિનું અવલોકન: દરેક સભ્ય દેશની રાષ્ટ્રીય વ્યાપાર નીતિનું અવલોકન કરી તેમાં જરૂરી સુધારા સૂચવવા.

૩. પર્યાવરણની સુરક્ષા માટે લેવામાં આવેલાં પગલાં જણાવો.

ઉત્તર: ૧૯૭૨ની સ્ટોકહોમ પૃથ્વી પરિષદ બાદ ભારત સરકારે નીચેના પગલાં લીધા છે:

  • પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ: કેન્દ્ર અને રાજ્ય સ્તરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે.
  • પર્યાવરણ દિવસ: પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા ૫ જૂનને 'વિશ્વ પર્યાવરણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
  • કાયદાકીય જોગવાઈ: ૧૯૮૧માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કરવામાં આવ્યો.
  • આંતરરાષ્ટ્રીય સમજૂતી: ઓઝોનનું સ્તર બચાવવા, પરમાણુ કચરાનો નિકાલ અને જૈવ-વિવિધતાની જાળવણી માટે આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કરવામાં આવી છે.

૪. ટકાઉ વિકાસ માટેની વ્યૂહરચના સમજાવો.

ઉત્તર: કુદરતી સાધનોના સંરક્ષણ માટે નીચેની વ્યૂહરચના અપનાવવી જોઈએ:

  • પુનઃપ્રાપ્ય સાધનો: જે સાધનો ફરીથી મેળવી શકાય તેમ હોય (ખેતીલાયક જમીન, જંગલો) તેનો ઉપયોગ ગુણવત્તા જળવાય તે રીતે કરવો.
  • બિન-પુનઃપ્રાપ્ય સાધનો: કોલસો, પેટ્રોલિયમ, ખનીજો વગેરે મર્યાદિત હોવાથી તેનો કરકસરભર્યો ઉપયોગ કરવો.
  • વૈકલ્પિક ઉર્જા: સૌર ઉર્જા, પવન ઉર્જા અને ભરતી ઉર્જા જેવા ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો વપરાશ વધારવો.
  • સાધનોનો બહુહેતુક ઉપયોગ: એક જ સાધનનો અનેક રીતે ઉપયોગ કરવો (દા.ત. ડેમમાંથી સિંચાઈ અને વીજળી બંને મેળવવી).

૫. આર્થિક ઉદારીકરણના ગેરલાભો (મર્યાદાઓ) જણાવો.

ઉત્તર: ઉદારીકરણના ફાયદાની સાથે કેટલીક નકારાત્મક અસરો પણ થઈ છે:

  • ઈજારો અને અસમાનતા: ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટતા ઈજારાશાહી (Monopoly) માં વધારો થયો છે અને અમીર-ગરીબ વચ્ચેનું અંતર વધ્યું છે.
  • કૃષિ ક્ષેત્રની અવગણના: ઉદારીકરણમાં માત્ર ઉદ્યોગો પર જ ધ્યાન આપવામાં આવ્યું, જેના કારણે કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું.
  • પ્રદૂષણ: ઉદ્યોગોની સંખ્યા વધતા પર્યાવરણના પ્રદૂષણમાં ખૂબ વધારો થયો છે.
  • આયાતમાં વધારો: નિકાસ કરતા આયાત પરનું અવલંબન વધ્યું છે, જેનાથી વિદેશી દેવામાં વધારો થઈ શકે છે.

🏛️ પ્રકરણ 16: ૪ ગુણના મોસ્ટ IMP લાંબા પ્રશ્નો

૧. ખાનગીકરણનો અર્થ સમજાવી તેના લાભો અને ગેરલાભોની ચર્ચા કરો.

ઉત્તર: રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અને સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયાને ખાનગીકરણ કહે છે.

ખાનગીકરણના લાભો:

  • ઉત્પાદન એકમોમાં વધારો: દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન એકમોની સંખ્યામાં મોટો વધારો થયો છે.
  • કાર્યક્ષમતામાં સુધારો: જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી તેની કાર્યક્ષમતા અને મેનેજમેન્ટમાં સુધારો થયો છે.
  • મૂડીગત ઉત્પાદનમાં વધારો: ખાનગીકરણને કારણે મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.

ખાનગીકરણના ગેરલાભો (મર્યાદાઓ):

  • ઈજારાશાહીને વેગ: આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું છે, જેના કારણે બજારમાં ઈજારાશાહી (Monopoly) ને વેગ મળ્યો છે.
  • ભાવવધારો: ખાનગી સાહસોનો હેતુ માત્ર નફાનો હોવાથી ઘણીવાર ચીજવસ્તુઓના ભાવમાં અનિયંત્રિત વધારો થાય છે.
  • કુટિર ઉદ્યોગોને નુકસાન: મોટા ઉદ્યોગોના વિકાસ સામે નાના અને કુટિર ઉદ્યોગો ટકી શક્યા નથી.

૨. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના ધ્યેયો અને ભારત પર તેની અસરો સમજાવો.

ઉત્તર: ૧ જાન્યુઆરી ૧૯૯૫ના રોજ જીનીવા ખાતે સ્થપાયેલ WTO વિશ્વ વેપારનું સંચાલન કરે છે.

WTO ના મુખ્ય ધ્યેયો:

  • આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા.
  • વિશ્વ વ્યાપાર માટે દેશો વચ્ચેનો ભેદભાવ દૂર કરવો.
  • કુદરતી સાધનોનો મહત્તમ ઉપયોગ અને પર્યાવરણની જાળવણી કરવી.

ભારત પર થયેલી અસરો:

  • નિકાસમાં વૃદ્ધિ: વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધતા ભારતની નિકાસમાં ધરખમ વધારો થયો છે.
  • કૃષિ પેદાશોની નિકાસ: ખેત પેદાશોની નિકાસ વધવાથી ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજારમાં સારા ભાવ મળવાની તક ઊભી થઈ છે.
  • તૈયાર વસ્ત્રોની નિકાસ: કાપડ ઉદ્યોગ અને તૈયાર વસ્ત્રોની નિકાસમાં ભારત વિશ્વમાં અગ્રેસર બન્યું છે.
  • પડકાર: આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા ભારતે ગુણવત્તામાં સુધારો કરવો અનિવાર્ય બન્યું છે.

૩. ટકાઉ વિકાસ એટલે શું? પર્યાવરણની સુરક્ષા માટે ટકાઉ વિકાસની વ્યૂહરચના સવિસ્તાર સમજાવો.

ઉત્તર: ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ.

ટકાઉ વિકાસની વ્યૂહરચના:

  • બિનપરંપરાગત ઉર્જાનો ઉપયોગ: પેટ્રોલિયમ અને કોલસાને બદલે સૌર ઉર્જા, પવન ઉર્જા અને ભરતી ઉર્જા જેવા સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
  • સાધનોનો કરકસરભર્યો ઉપયોગ: પુનઃ અપ્રાપ્ય કુદરતી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને પ્રદૂષણ ઘટાડવું.
  • જૈવિક ખેતી: રાસાયણિક ખાતરોને બદલે જૈવિક ખાતરો અને કીટનાશકોનો ઉપયોગ કરી જમીનની ફળદ્રુપતા જાળવવી.
  • ઔદ્યોગિક કચરાનો નિકાલ: કારખાનાના દૂષિત પાણી અને કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી જળ અને વાયુ પ્રદૂષણ રોકવું.
  • પરિવહન ખર્ચ ઘટાડવો: ઉદ્યોગોની સ્થાપના એવી રીતે કરવી કે જેથી કાચા માલ અને તૈયાર માલનું પરિવહન ઓછું કરવું પડે, જેનાથી ઇંધણની બચત થાય.

Social science chapter 17👇https://pramukhdps.blogspot.com/2026/01/10-17-imp-std-10-th-chapter-17-social.html

ધોરણ 10 સામાજિક વિજ્ઞાન: મિશન 2025 🎯

​શું તમારે સામાજિક વિજ્ઞાનમાં 80/80 મેળવવા છે?

મેળવો સંપૂર્ણ PDF મટીરીયલ (પ્રકરણ 1 થી 21) માત્ર ₹60 માં! 💸મેળવો સંપૂર્ણ PDF મટીરીયલ (પ્રકરણ 1 થી 21) માત્ર ₹60 માં! 💸https://topmate.io/dangar_purna/1859041

✅ ખાસિયતો:

  • ​📌 નવી બ્લુપ્રિન્ટ મુજબ IMP પ્રશ્નો
  • ​🗺️ નકશા પૂર્તિની સરળ સમજૂતી
  • ​📝 મુદ્દાસર અને સરળ ભાષામાં જવાબો
  • ​⚡ વિભાગ-A માટે ટૂંકા પ્રશ્નોનો સંગ્રહ

​તમારી તૈયારીને બનાવો સ્માર્ટ અને મેળવો બોર્ડમાં સફળતા!